
દેશના ખેડૂતો અનેકવિધ પાકોની ખેતી કરતા થયા છે ત્યારે હાલમાં આવી જ એક વિશિષ્ટ ખેતીને લઈ જાણકારી સામે આવી છે. ગીર જંગલની બોર્ડર પર આવેલ વલાદર ગામમાં ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી થઈ રહી છે. આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં સંપૂર્ણરૂપે પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે હોમાફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ અર્થાત કોસ્મીક હેલીંગની ઉર્જા વડે ખેતી થઈ રહી છે.
આની સાથે જ આશ્રમની લગભગ 300 વીઘા જમીન પર 3,000 આંબા પર મીઠી મધુરી કેસરની ઉપરાંત રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળી સહિત 10 પ્રકારની કેરીઓનું સંપૂર્ણપણે ઓર્ગેનિક ઉત્પાદન લેવામાં આવે છે.
આધ્યાત્મિક શક્તિઓની ઉર્જા સાથેની ખેતી:
ભારત દેશ કૃષિપ્રધાન દેશ હોવાને લીધે કૃષિ ક્ષેત્રમાં અનેકવિધ જાતની કૃષિ પદ્ધતિઓ અમલમાં હોય છે. જેનાં પૈકી પ્રાકૃતિક ખેતી તેમજ તેમાં પણ હોમોફાર્મિંગ એટલે કે, આદ્યાત્મિક શક્તિ આધારિત ખેતી પણ ખેડૂતો કરી રહ્યાં છે. હાલની સ્થિતિમાં ખેતીમાં વધારે ઉત્પાદન લેવાની લ્હાયમાં રાસાયણીક દવાઓનો ઉપયોગ થઈ રહ્યો હોય છે.
જે માનવજીવન માટે ખુબ જોખમી સાબીત થઈ રહ્યો છે. જો કે, હવે લોકો સંપૂર્ણપણે શુદ્ધ ખેત પેદાશો મેળવવાનો આગ્રહ રાખી રહ્યા હોવાને લીધે ખેડૂતો પણ હવે ફરી પ્રાકૃતિક ખેતી બાજુ પાછા વળે તે માટે કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જૂજ ખેડૂતો જ આવા પ્રકારની ખેતી કરે છે.
છેલ્લા 20 વર્ષથી સંપૂર્ણ પણે પ્રાકૃતિક સજીવ ખેતી થઈ રહી છે:
ગીરમાં આવેલ આદ્યશક્તિ આશ્રમમાં થઇ રહેલ વિશિષ્ટ ખેતી વિશે આશ્રમના સંચાલક મિલનભાઈ જણાવે છે કે, શિવપુરાણમાં વર્ષો અગાઉ દુષ્કાળના વર્ષમાં ગૌતમ ઋષિ સવારમાં વાવતા તેમજ સાંજે લણતા એવા પ્રકારની ઋષિખેતીનો ઉલ્લેખ જોવા મળે છે.
આની સાથે જ ઋષિમુનિઓ આધ્યાત્મિક ઉર્જાની શક્તિ વળે ખેતી કરતા હતા. અહીં આદ્યશક્તિ યોગાશ્રમમાં છેલ્લા 20 વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક સજીવ ખેતી થઈ રહી છે કે, જેમાં છેલ્લા 8 વર્ષથી કોસ્મીક હેલીંગ એટલે કે, આધ્યાત્મિક સાધના શક્તિની ઉર્જાને ખેતીમાં પ્રવાહિત કરી રહ્યા છે.
કેરીની ગુણવતા ગયા વર્ષ કરતાં ઉંચી છે:
અહીં નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે દર વર્ષે ગીર પંથકની કેસર કેરીનો સરેરાશ 50% પાક નિષ્ફળ થયો છે. આ વર્ષે પણ ગીર પંથકમાં કેરીનો અડઘો પાક નિષ્ફળ ગયો છે. જેની પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિગની અસરો જવાબદાર હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.