
ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે, આ મહિનામાં ભગવાન શિવની ભક્તિ કરવામાં આવે છે. ભગવાન શિવને રીઝવવા માટે આખો મહિનો ઉપવાસ કરે છે. આ ઉપરાંત ભગવાનને રીઝવવા માટે જપ, તપ, પૂજા હવન પણ કરવામાં આવે છે. આખો શ્રાવણ મહિનો શિવજીના મંદિરમાં ભક્તોની ભીડ રહે છે.
ત્યારે એક એવું શિવ મંદિર છે કે, જ્યા ઘીના ભંડાર ઉભરાય છે. આ વાત ખેડા જિલ્લાના રધુ ગામે આવેલા કામનાથ મહાદેવ મંદિરની છે. આ મંદિરમાં બિરાજેલા ભગવાન શિવની પૂજા તો થાય જ છે, પરંતુ આ મંદિરની બીજી પણ એક ખાસિયત છે. આ મંદિરમાં 751 જેટલી માટીના ગોળામાં ઘી ભરેલું છે.
એવું કહેવાય છે કે, વર્ષોથી આ મંદિરમાં આ રીતે માટીની ગોળીઓ ઘીથી ભરી રાખવામાં આવે છે. આ ઘીનો ઉપયોગ માત્ર અખંડ જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે જ વપરાય છે. આ જ કારણે આ મંદિર એક આગવી ઓળખ ધરાવે છે. વાત્રક નદીના કિનારે જ્યા પાંચ નદીઓનો સંગમ છે ત્યાં નજીકમાં જ આવેલ આ પુરાતન મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક છે.
એવું કહેવાય છે કે, આ મંદિર વર્ષ 1445માં બનાવવામાં આવ્યું હતું. રઢુથી 8 કિમી દૂર આવેલા પુનાજ ગામથી 629 વર્ષો પહેલા રઢુ ગામના જેસંગભાઇ હિરાભાઇ પટેલ તથા ગામના લોકો દ્વારા અખંડ જ્યોત લાવવામાં આવી હતી. ત્યારથી આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ જ્યોતને ચાલુ રાખવા માટે રોજ લગભગ 10-15 કિલો ઘીનો ઉપયોગ થતો હોય છે.
જેના માટે આ ગામના લોકોએ અને શિવ ભક્તોએ યથાશક્તિ ઘી આપવાનું શરુ કર્યું હતું. જેને લીધે હાલ આ મંદિરમાં 751 જેટલી માટીની ગોળીઓમાં ઘી ભરેલું છે. સંવત 2056થી આખા શ્રાવણ મહિના દરમિયાન મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે, જેમાં આખા મહિના દરમિયાન 80 ગોળીઓ જેટલું ઘી વપરાય છે. આ મંદિરમાં આટલા મોટા જથ્થમાં ઘી ભેગું થયેલું છે જેની પાછળ પણ એક વાર્તા છે.
રઢુ અને તેની આસપાસના ગામના કોઈ પણ ઘરે ભેંસ કે ગાયને બચ્ચા આવે ત્યારે તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને અમન્દિરમાં અર્પણ કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 35 જેટલી માટીની ગોળીઓ ઘીથી ભરાય છે. આ માટીની એક ગોળીની અંદર લગભગ 60 કિલો જેટલું ઘી હોય છે. આ ઘીની અને મંદિરની ખાસ વાત એ પણ છે કે આ ઘી વર્ષો જૂનું હોવા છતાં બગાડ્યું નથી કે નથી તે ખુલ્લું પડ્યું હોવા છતાં તેમાંથી વાસ આવતી કે નથી તેમાં કીડા પડયા…
આ મંદિરમાં શ્રાવણ મહિનાની બારસના દિવસે ભગવાન શિવની પ્રજવલિત થયેલી અખંડ જયોતનો પ્રતિષ્ઠા મહોત્સવ ગ્રામજનો દ્વારા ધામધુમથી ઉજવવામાં આવે છે. લોકોની કામના પૂરી કરતા આ દેવની સોનાની મૂર્તિ પણ આ દિવસે દર્શન માટે બહાર કાઢવામાં આવે છે. આ દિવસે વર્ષમાં એકવાર મહાદેવજી નગરચર્યા માટે નીકળે છે.
શિવજીની આ સોનાની મૂર્તિ વર્ષમાં માત્ર શ્રાવણના સોમવાર, શ્રાવણ વદ બારસ અને શિવરાત્રીના દિવસે જ દર્શન માટે બહાર કઢાય છે. આ દિવસોમાં ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ અખંડ જ્યોતના દર્શન કરવા માટે ગુજરાત, મહારાષ્ટ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તેમજ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવે છે, જે તેમની મનોકામના પૂર્તિ માટે મહાદેવની બાધા રાખે છે. અહીં ભક્તોની મનોકામના પૂરી થતી હોવાને કારણે મંદિરનું નામ કામનાથ મહાદેવ પડ્યું છે.