સુરતના ખેડૂતે ૧૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી દ્વારા કરી બે લાખની ચોખ્ખી કમાણી- જુઓ કેવી રીતે?

Published on: 2:36 pm, Wed, 4 August 21

આપણે સૌ જાણીએ જ છીએ કે, ફળોનો રાજા એટલે કેરી. આંબાનું મૂળ વતન ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી પ્રદેશો માનવામાં આવે છે. જોકે, ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કેરીનું ઉત્પાદન થાય છે. મધમીઠી કેરી સૌ કોઈને પ્રિય હોય છે. ત્યારે લોકોને કેરીની મીઠાશની સાથે સાથે ઝેરમુક્ત ઉત્તમ ફળ મળી રહે એ માટે સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામે શિક્ષક પોતાના પરિવાર સાથે પ્રાકૃતિક રીતે કેરીની ખેતી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને જ્ઞાનના પાઠ ભણાવતા ભરતભાઈ પટેલ પોતાની 10 વીઘા જમીનમાં આંબા થકી 350 મણ કેરીનું ઉત્પાદન મેળવીને આ વર્ષે 2 લાખથી વધુની કમાણી કરી ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના સણવલ્લા ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા ભરતભાઈ પટેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. પોતાની વાડીમાં રાજાપુરી, કેસર, તોતાપુરી, દાડમ, લંગડો, આમ્રપાલી જેવી વિવિધ પ્રકારની કેરીનું ઉત્પાદન લે છે. ગુણવત્તાયુક્ત કેરીની ખેતીમાં ગૌમૂત્ર આધારિત જવારણનો ઉપયોગ કરીને આવકમાં વૃદ્ધિ કરવામાં આવી છે. શિક્ષકની ફરજની સાથે આજે તેમની ‘નંદનવન ગીર ગૌ-શાળા’માં 18 જેટલા નાના-મોટા ગૌવંશ થકી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. ઉપરાંત ખેતી પાકોનું મૂલ્યવર્ધન કરીને પણ વધારાની આવક મેળવી રહ્યા છે, જેમાં તેમના બન્ને યુવાન દીકરાઓ ખભેખભા મિલાવીને તેમના પિતાને મદદરૂપ થઇ રહ્યા છે.

પ્રાકૃતિક ખેતી અંગેની પ્રેરણા અને અનુભવો અંગે વાત કરતાં ભરતભાઈ કહે છે કે, છ વર્ષ પહેલાં ભરૂચ ખાતે ગ્રામ વિકાસ શિબિરમાં જવાનું થયું ત્યાં પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતોના અનુભવો સાંભળીને ખેતી કરવાનો દૃઢ નિર્ધાર કરીને એક ગાય પાળી અને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. ગાય આધારિત ખેતી પદ્ધતિ દ્વારા આંબાના પાકમાં કેરીનું મબલખ ઉત્પાદન કરી શકાય એ અંગે પ્રકાશ પાડતાં તેઓ કહે છે કે, મે-જૂનમાં કેરીનો ઉતારો આવ્યા બાદ આંબાના ઝાડની ઊંચાઈ પ્રમાણે છાંયડાના એક મીટર અંદરના ઘેરાવામાં ગૌમૂત્ર, ગોબર, છાશ અને ઘનજીવામૃત નાખવાથી ચોમાસા દરમિયાન કીટકો થડમાં આવે ત્યારે રોગ નિયંત્રણનું ઉત્તમ કામ કરે છે.

આ ઉપરાંત તેઓ ગૌમૂત્ર તથા ખાટી છાશમાંથી બનાવવામાં આવતા જવારણ નામના પ્રાકૃતિક કીટનાશક વિશે વિગતો આપે છે. એક ડ્રમમાં વિવિધ ફળોનો રસ લઈને એમાં ગૌમૂત્ર તેમજ છાશ ભેળવીને આઠ મહિના સુધી રાખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જવારણનો આંબામાં જ્યારે મોર બેસે ત્યારે છંટકાવ કરવામાં આવે છે. જેથી મધમાખી, પતંગિયા જેવા મિત્ર કીટકો આકર્ષાય છે. જેથી ફલાવરિંગનું કામ સરળ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જૈવિક રીતે નિયંત્રણ કેવી રીતે થાય એ અંગે દર રવિવારે શિબિર યોજીને માર્ગદર્શન આપું છું. કેરીના વેચાણ અંગે તેઓ જણાવે છે કે, અમારી વાડીએથી જ ગ્રાહકોને કેરીઓનું સીધું વેચાણ કરીએ છીએ. કોઈપણ પ્રકારના ઝેરી પેસ્ટિસાઈઝનો ઉપયોગ કર્યા વિના ગાય આધારિત ખેતી થકી જ જમીનમાં પાકો લઉ છું.

ભરતભાઈ જણાવે છે કે, કચ્છ જિલ્લાના કુકમા અને મહારાષ્ટ્રના ગૌ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર નાગપુર ખાતે મારા દીકરા હર્ષકુમાર સાથે જઈને પ્રાકૃતિક ખેતીમાં વિવિધ જૈવ નિયંત્રણના કીટનાશકો બનાવવાની તાલીમ લીધી હતી. જેમાં ઘનજીવામૃત, અગ્નિઅસ્ત્ર, ઉધઈ નિયંત્રણ, બ્રહ્માસ્ત્ર જેવા કીટનાશકોનો ઉપયોગ કરીને ભીંડા, કપાસ જેવા પાકો પર પ્રયોગ કરીએ છીએ. તેમણે જણાવ્યું કે, તાઉતે વાવાઝોડાને કારણે આજુબાજુની વાડીઓની સરખામણી મારી વાડીના આંબાના પાકમાં ઓછું નુકસાન થયું છે એનું શ્રેય પ્રાકૃતિક ખેતીને આપું છું. ગૌ કેન્દ્ર ખાતે પંચગવ્ય આધારિત ગૌમૂત્ર અર્ક, માલિશ તેલ, ગૌ-કેશ તેલ, ગૌ-નસ્ય જેવાં ઔષધિય ઉત્પાદનો પણ તૈયાર કરી રહ્યા છે.

ભરતભાઈના બન્ને દીકરા જિજ્ઞાશુ અને હર્ષકુમાર પણ પ્રાકૃતિક ખેતી અપનાવીને આજની યુવાપેઢીના યુવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે ઓર્ગેનિક ખેતી અંગે ગુજરાત ઓર્ગેનિક પ્રોડકશન સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત-નવસારી દ્વારા ભરતભાઈને હલઘર ઓર્ગેનિક ફાર્મર અવોર્ડ તથા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. હાલ તેઓ નવસારી કૃષિ યુનિવર્સિટીની નિરંતર શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

ભરતભાઈ વધુમાં જણાવે છે કે, ગાય આધારિત ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે. ઉત્પાદન વધતાંની સાથે આવકમાં પણ વધારો થયો છે. અમારી નંદનવન ગીર ગૌ-શાળામાં આગાખાન સંસ્થાના સહયોગથી એક હજારથી વધુ ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમના આયોજન કેન્દ્ર ખાતે કાર્યરત વિશાલ વસાવા પણ મદદરૂપ થાય છે. હાલ ખેડૂતો તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી નાના પાયે કરતા થયા છે. આંબાની ખેતીની સાથે ભરતભાઈ ગાય આધારિત ખેતપદ્ધતિ થકી પોતાની વાડીમાં ભીંડા, શેરડી, જમરૂખ જેવા પાકોનું પણ ઉત્પાદન પણ લઈ રહ્યા છે. આ ઉપરાંત, જીવામૃતનું વેચાણ કરીને પણ પૂરક આવક મેળવી રહ્યા છે.