ડીંગુચા ગામમાં રબારી વાસમાં રહેતા માલધારી પરિવારો પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ માલધારીઓ મંગળવારે ગાયો ચરાવવા ગયા હતા. આ દરમિયાન ગાયો રસ્તામાં એક ખેતરમાં ઘૂસી ગઈ હતી. અને અંદર રહેલા એરંડાના છોડ ખાવા લાગી હતી.
આ દરમિયાન માલધારીઓએ ખેતરમાંથી ગાયોને તરત જ બહાર કાઢી હતી. જોકે, 21 ગાયે એરંડાના છોડ ખાઇ લેતા ગાયોને ઝેર ચડવા લાગ્યું હતું. અને થોડા જ સમયમાં એક પછી એક ગાયના મોત થવા લાગ્યા હતા. જાણવા મળ્યું છે કે, ગઈકાલે 11 ગાયના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 10 ગાયની તબિયત લથડી હતી જેમાંથી વધુ બે ગાયોનાં મોત નીપજ્યા હતા.
કુલ 13 ગાયના મરણ થતા માલધારીઓ પર જાણે આફત આવી પડી હતી. ડીંગુચા ગામમાં રહેતા રબારી ઈશ્વરભાઈની 1 ગાય, રબારી રણછોડભાઈની 3 ગાય, રબારી લલ્લુભાઈની 1 ગાય, રબારી ભગવનભાઈની 4 ગાય, રબારી રામભાઈની 3 ગાય તેમજ રબારી કાનજીભાઈની 1 ગાયનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.